ઈન્સાનની દુ:ખમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધારદાર બની જાય છે. જ્યારે સુખમાં એ જ શ્રદ્ધા પર ધૂળના પડ જામી જાય છે.

શ્રદ્ધા એટલે ઇમાન. આપણા સંતો, આલિમો, કવિઓ, ગઝલકારો અને કથાકારોએ શ્રદ્ધા શબ્દનો અઢળક પ્રયોગ કર્યો છે. તેનો હાર્દ બે વાક્યોમાં કહી શકાય, ‘માનવજીવનમાં શ્રદ્ધા શ્વાસ સમાન છે. શ્રદ્ધા વગરનું જીવન ધબકારા વગરના શરીર જેવું છે.’ આટલા મહત્વના આપણા અંગ સમાં ઇમાન કે શ્રદ્ધાને કોઇ ભૌતિક સ્વરૂપ નથી. તેના અસ્તિત્વનો કોઇ આધાર નથી. તે માટે કોઇ બુદ્ધિગમ્ય દલીલ નથી. ‘શ્રદ્ધાનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર છે, કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી’

જલન માતરીના આ શેરમાં શ્રદ્ધાની પરાકાષ્ઠા અભિવ્યક્ત થાય છે. કુરાને શરીફનું અવતરણ ખુદાએ હજરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર વહી (ખુદના સંદેશ) દ્વારા કર્યું હતું અને છતાં તેમાં ક્યાંય મોહંમદ સાહેબનું નામ-સહી નથી. આમ છતાં વિશ્વના મુસ્લિમો આજે પણ કુરાનને ખુદાનો આદેશ માનીને તેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, કારણ કે કુરાનમાં તેમનો ઇમાન કોઇ આધાર કે સાક્ષીનો મોહતાજ નથી. રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો માટે પણ એવી જ અતૂટ શ્રદ્ધા હિન્દુ સમાજ ધરાવે છે, કારણ કે ખુદા કે ઇશ્વરનું અસ્તિત્વ એ ઇમાન-શ્રદ્ધાનો વિષય છે. તેમાં કોઇ દલીલને અવકાશ નથી.

હિન્દુ ધર્મગ્રંથોમાં ઇશ્વરને નિરંજન નિરાકાર તરીકે આલેખવામાં આવ્યા છે. ઇસ્લામમાં પણ ખુદાને કોઇ આકાર કે સ્વરૂપમાં સ્વીકારવાની મનાઇ છે. વળી, બંને ધર્મમાં ઇશ્વર કે ખુદાના અસ્તિત્વનો આધાર માત્ર ને માત્ર ઇમાન કે શ્રદ્ધા જ છે અને એટલે જ સમગ્ર બ્રહ્માંડમાં ‘યા અલ્લાહ’ ‘હે ઇશ્વર’ના પોકારો સદા ગુંજતા રહે છે. તેના મૂળમાં આપણી અતૂટ શ્રદ્ધા અને ઇમાન છે. એક વાર આચાર્ય રજનીશ પાસે એક ભક્ત આવ્યો. તેણે આચાર્યને કહ્યું, ‘મારે ઇશ્વરને જોવા છે. મને તેમને બતાવો તો જ માનું કે આપ મોટા સંત છો.’

રજનીશે એ ભક્તને એટલું જ કહ્યું,
‘મહર્ષિ અરવિંદે કહ્યું છે કે, ભગવાનને જોઇ ન શકાય, માત્ર મહેસૂસ કરી શકાય. કારણ કે ભગવાન એ શ્રદ્ધા છે, શક્તિ છે.’

એ જ લયમાં સ્વામી વિવેકાનંદ કહે છે,
‘પોતાનામાં અને પરમાત્મામાં શ્રદ્ધા એ જ મહાશક્તિનું રહસ્ય છે.’

આવી શ્રદ્ધાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ. જલન માતરી લખે છે,
‘જરા સરખો પરદો હટાવી તો જો
ખુદા છે કે નહિ હાંક મારી તો જો’

ખુદા-ઇશ્વરને હાંક મારવાની ક્રિયાએ જ મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારોનું સર્જન કર્યું છે. જેમાં માનવી પોતાની જરૂરિયાતો માટે ખુદાને દુઆ કરે છે, હાંક મારે છે પણ ઇન્સાનની દુઆ કરવાના સંજોગો સ્વાર્થ પર નિર્ભર છે. ‘સુખ મેં સુમિરન સબ કરે, દુ:ખ મેં કરે ન કોઇ, જો સુખ મેં સુમિરન કરે, ફીર કાહે દુ:ખ હોઇ’

ઈન્સાનની દુ:ખમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધારદાર બની જાય છે. જ્યારે સુખમાં એ જ શ્રદ્ધા પર ધૂળના પડ જામી જાય છે. આવી અધકચરી શ્રદ્ધાની જ ઇશ્વર કસોટી કરે છે.

એક સૂફીસંતને લોકોએ વિનંતી કરતાં કહ્યું,‘ચોમાસુ બેસી ગયું, છતાં હજુ વરસાદ નથી આવ્યો. આપ ખુદાને દુઆ કરો કે વરસાદ આવે.’

‘સારું તમે બધા સાંજે ગામના પાદરે આવો, આપણે સૌ સાથે પ્રાર્થના કરીશું.’

સાંજે આખું પાદરે ભેગું થયું. એક માત્ર સૂફીસંત હાથમાં છત્રી લઇ આવ્યા હતા. સૌના હાથ ખાલી જોઇ તે બોલી ઊઠ્યા,

‘તમે વરસાદ માટે દુઆ (પ્રાર્થના) કરવા આવ્યા છો અને સાથે છત્રી નથી લાવ્યા! તમને તમારી દુઆમાં જ શ્રદ્ધા નથી, પછી ખુદા તે ક્યાંથી સાંભળશે?’

શ્રદ્ધાની આવી પરિભાષા ઇન્સાન માટે પામવી મુશ્કેલ છે પણ જો એકવાર પામી લઇશું તો જરૂર આપણે સૌ સુખના સમુદ્રમાં મહાલતા થઇ જઇશું.

0 comments